ભારતમાં પ્લાસ્ટિકનો કચરો દર વર્ષે લગભગ 1 કરોડ 2 લાખ ટન ઉત્પન્ન થાય છે, જે વિશ્વમાં સૌથી વધુ છે.
આ સમસ્યાને નિયંત્રિત કરવા માટે ભારત સરકારે પ્લાસ્ટિક બેન પર ભાર મૂક્યો છે અને પર્યાવરણ જાગૃતિના અભિયાનો ચલાવ્યા છે.
જોકે.પ્લાસ્ટિકની થેલીઓ પર પ્રતિબંધ હોવા છતાં, શાકમાર્કેટમાં ગયા વિના પ્લાસ્ટિકની થેલીઓ જોવા મળે જ છે.
જેને લઈ લોકોમાં જાગૃતતા લાવવા માટે રાજકોટના 73 વર્ષીય કાંતિલાલ છગનલાલ ભુત અનોખો પ્રયાસ કરતા જોવા મળી રહ્યા છે.
રાજકોટના 73 વર્ષીય કાંતિલાલ છગનલાલ ભુત પર્યાવરણને બચાવવા અનોખો પ્રયાસ કરી રહ્યા છે.
આ દાદા શાકમાર્કેટમાં જઈને લોકોને મફતમાં કાપડની થેલીઓ આપે છે અને પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવાનો સંદેશ આપે છે.
તેમના એક હાથમાં કાપડની થેલીઓ, બીજા હાથમાં "પર્યાવરણ બચાવો"નું પોસ્ટર અને ગળામાં પર્યાવરણ જાગૃતિનું બેનર જોવા મળે છે.
કાંતિલાલ ભુત ભારતને પ્લાસ્ટિક મુક્ત બનાવવા માટે સતત મહેનત કરી રહ્યા છે.
તેઓ કહે છે, "હું 58 વર્ષથી રાજકોટમાં રહું છું. જીવનમાં મેં ઘણો સંઘર્ષ જોયો, બે વખત તો નાસીપાસ થઈને આત્મહત્યાનો પ્રયાસ પણ કર્યો. પરંતુ, પત્નીના સહયોગથી હું આગળ વધી શક્યો."
પર્યાવરણને બચાવવાના ઉદ્દેશ્ય સાથે તેમણે નક્કી કર્યું કે તેઓ ઘરે જ કાપડની થેલીઓ બનાવીને લોકોને વહેંચશે.
તેમણે 75 રૂપિયાનું કાપડ ખરીદીને 22 થેલીઓ બનાવી અને શાકમાર્કેટમાં વેચવાનું શરૂ કર્યું. પરંતુ થેલીઓ વેચાઈ નહીં.
તેમણે કિંમત ઘટાડીને 10 રૂપિયા કરી, તો પણ લોકો ખરીદતા ન હતા. આખરે તેમણે નક્કી કર્યું કે તેઓ આ થેલીઓ મફતમાં આપશે.
હવે તેઓ લોકોને હાથ જોડીને વિનંતી કરે છે કે, "કાપડની થેલી લઈ જાઓ અને પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરો."
કાંતિલાલ માત્ર થેલીઓ જ નથી આપતા, તેઓ વૃક્ષારોપણ પણ કરે છે.
લોકોને વૃક્ષો વાવવા માટે પ્રોત્સાહિત કરે છે અને જો કોઈ સહમત થાય, તો તેઓ તેમના ઘરે જઈને છોડ પણ આપે છે. તેઓ કહે છે, "અમે પોતે પણ પ્લાસ્ટિકની થેલીનો ઉપયોગ નથી કરતા.
કરિયાણું લેવા જઈએ ત્યારે પણ કાપડની થેલી જ લઈ જઈએ, જેથી અમે બીજાને પણ આ વાત કહી શકીએ."
કાંતિલાલના જણાવ્યા મુજબ, ભારત વિશ્વમાં પ્લાસ્ટિકનો કચરો ભેગો કરવામાં પ્રથમ ક્રમે છે, જ્યાં દર વર્ષે 1 કરોડ 2 લાખ ટન કચરો ઉત્પન્ન થાય છે.
તેઓ સૌને અપીલ કરે છે કે, "પ્લાસ્ટિકની થેલીને બદલે કાપડની થેલી વાપરો, જેથી પર્યાવરણને નુકસાન ન થાય."