ટેક્નોલોજી જેટલી ખતરારૂમ મનાય છે એટલી જ મદદરૂપ પણ છે.
જો તેનો ઉપયોગ સમાજના હિતમાં કરાય તો તે વરદાન પણ સાબિત થઇ શકે છે.
તાજેતરમાં હૈદરાબાદમાં સરકાર સંચાલિત નિલોફર હોસ્પિટલમાં એઆઇની મદદથી વ્યક્તિના સ્વાસ્થ્યની ચકાસણી કરાઇ હતી, સામાન્ય રીતે લોહીની ચકાસણી બાદ રિપોર્ટ આવ્યાના કલાકો પછી સ્વાસ્થ્યની સ્થિતિ જાણવા મળે છે પરંતુ આ હોસ્પિટલમાં એઆઇની મદદથી માત્ર ગણતરીની મીનીટોમાં જ પરિણામ સામે આવી જાય છે.
હૈદરાબાદના આ સરકાર સંચાલિત હોસ્પિટલમાં મેટરનિટી વોર્ડમાં ગર્ભવતી મહિલાઓના ટેસ્ટ માટે એઆઇ આધારીત મોબાઇલ ટેક્નોલોજીનો ઉપયોગ કરાયો હતો, જેમાં દર્દીનો ચેહરો મોબાઇલના કેમેરાથી સ્કેન કરાય છે. આ બધુ એક એઆઇ આધારિત એપ્લિકેશનની મદદથી કરાયું હતું, મોબાઇલના કેમેરાથી ચેહરો સ્કેન કરતી વખતે ચેહરા પર પુરતો પ્રકાશ આપવામાં આવે છે.
આ એપ્લિકેશનને ક્વિક વાઇટલ દ્વારા તૈયાર કરાઇ છે જેને અમૃત સ્વસ્થ ભારત નામ આપવામાં આવ્યું છે. આ એપમાં ફોટોપ્લેથીસ્મોગ્રાફી (પીપીજી)નો ઉપયોગ કરાય છે જે ચેહરા પર પડતા પ્રકાશને ડિટેક્ટ કરે છે.
બિસમ ફાર્મા.ના સંચાલક હરીષ બિસામે દાવો કર્યો હતો કે જ્યારે પ્રકાશ તમારા શરીરમાં પ્રવેશે છે ત્યારે તેનું રિફ્લેક્શન પણ સામે આવે છે.
ફોનનું સેંસર આ રિફ્લેક્ટ થતા પ્રકાશને ઝડપે છે, એપ્લિકેશન ફોટોપ્લેથીસ્મોગ્રાફી સાથે બિલ્ટ ઇન એલ્ગોરિધમનો ઉપયોગ કરે છે.
જેનાથી આ રિફ્લેક્શનનું એનાલિસિસ થાય છે.
જ્યારે એપને ડેટા મળે છે ત્યારે તેમાં આપણી રક્તવાહિનીમાં વહેતા લોહીને ડિટેક્ટ કરે છે.
જેમાં લોહીના પલ્સની ચકાસણી થાય છે. જોકે તેમણે સ્પષ્ટતા કરી હતી કે જ્યારે વ્યક્તિ લોહીની ચકાસણી અલગ અલગ લેબમાં કરે છે ત્યારે પરિણામ પણ થોડુ અલગ સામે આવે છે.
આ એપ્લિકેશનમાં પણ પરિણામ અલગ આવી શકે છે. જોકે આ એપ્લિકેશન લેબમાં લોહીનું જે પરીક્ષણ કરાય છે તે પ્રકારનું જ પરિણામ આપશે કે કેમ તેને લઇને કેટલાક સવાલો ઉભા થઇ રહ્યા છે. પરંતુ એક અનુમાન આધારિત રિપોર્ટ જરૂર મળી શકે છે.