આ વર્ષે ચોમાસું એના નિર્ધારિત સમય કરતાં 4 દિવસ વહેલું દેશમાં પહોંચવાની ધારણા છે.
ભારતીય હવામાન વિભાગ (IMD)એ જણાવ્યું હતું કે દક્ષિણ-પશ્ચિમ ચોમાસું 27 મેના રોજ કેરળ કિનારે પહોંચશે.
સામાન્ય રીતે એ 1 જૂનના રોજ આવે છે. 8 જુલાઈ સુધીમાં એ આખા દેશને આવરી લેશે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, જો ચોમાસું 27 મેના રોજ આવશે તો 2009 પછી પહેલીવાર એવું બનશે કે ચોમાસુ ભારતમાં આટલું વહેલું પહોંચશે.
2009માં ચોમાસું 23 મેના રોજ કેરળ પહોંચ્યું હતું. વર્ષ 2024માં ચોમાસું 30 મેના રોજ કેરળમાં પહોંચ્યું હતું.
આગામી સપ્તાહે આંદામાન અને નિકોબારમાં ચોમાસાનો વરસાદ
આગામી અઠવાડિયા સુધીમાં આંદામાન અને નિકોબારમાં ચોમાસાનો વરસાદ શરૂ થઈ શકે છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 13 મે સુધીમાં ચોમાસું આંદામાન અને નિકોબારના કેટલાક ભાગોમાં પ્રવેશવાની શક્યતા છે.
અર્થતંત્ર માટે સારો વરસાદ જરૂરી
દેશમાં કુલ વરસાદના 70% વરસાદ ચોમાસા દરમિયાન થાય છે.
દેશના 70%થી 80% ખેડૂતો પાકની સિંચાઈ માટે વરસાદ પર આધાર રાખે છે.
આનો અર્થ એ થયો કે સારા કે ખરાબ ચોમાસાની સીધી અસર ઊપજ પર પડે છે.
જો ચોમાસું ખરાબ હોય તો પાકનું ઉત્પાદન ઓછું થાય છે, જે ફુગાવામાં વધારો કરી શકે છે.
ભારતીય અર્થતંત્રમાં કૃષિક્ષેત્રનો હિસ્સો લગભગ 20% છે.
એ જ સમયે કૃષિક્ષેત્ર દેશની અડધી વસતિને રોજગારી પૂરી પાડે છે.
સારા વરસાદનો અર્થ એ છે કે ખેતી સાથે સંકળાયેલા લોકોને તહેવારોની મોસમ પહેલાં સારી આવક મળી શકે છે.
આનાથી તેમની ખર્ચ કરવાની ક્ષમતા વધે છે, જે અર્થતંત્રને મજબૂત બનાવે છે.