આજના આધુનિક યુગમાં મહિલાઓ ફક્ત ઘરની ચાર દીવાલો સુધી સીમિત નથી રહી.
તેઓ ઘરની બહાર નીકળીને પોતાની ક્ષમતાઓથી દુનિયાને ચોંકાવી રહી છે.
આજની નારી પુરુષોની સાથે કદમ મિલાવીને આગળ વધી રહી છે, આવી મહિલાઓને સશક્ત બનાવવા અને તેમના સન્માન, સુરક્ષા તથા આર્થિક સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા માટે ગુજરાત સરકાર હંમેશા અગ્રેસર રહી છે.
ગુજરાત સરકારની સખી મંડળ યોજના એ આ દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે, જેના થકી હજારો મહિલાઓ આત્મનિર્ભર બની છે.
આ યોજનાનો લાભ લઈને રાજકોટનું શ્રદ્ધા સખી મંડળ આજે સફળતાની નવી ઊંચાઈઓ સર કરી રહ્યું છે.
આજે આપણે શ્રદ્ધા સખી મંડળની સંચાલિકા માયાબેન નિમાવત સાથે વાત કરીશું અને જાણીશું કે, તેમણે આ મંડળની શરૂઆત કેવી રીતે કરી અને આજે તેઓ ક્યાં પહોંચી ગયા છે.
માયાબેન નિમાવત, જેઓ શ્રદ્ધા સખી મંડળની સંચાલિકા છે, તેમણે આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, “સરકારના કર્મચારીઓએ અમને બચતનું મહત્વ સમજાવ્યું અને અમને એક મંડળ બનાવવામાં મદદ કરી.
સરકાર દ્વારા અમને નિયમિત તાલીમ આપવામાં આવી, જેમાં બચત કેવી રીતે કરવી? નાના ઉદ્યોગો કેવી રીતે શરૂ કરવા અને મહિલાઓની આવડતને કેવી રીતે બહાર લાવવી તે શીખવવામાં આવ્યું હતું.”
નાસ્તા બનાવવાની બહેનોએ તાલીમ લીધી
આ તાલીમ દરમિયાન શ્રદ્ધા સખી મંડળની બહેનોએ ખાખરા, ચિપ્સ, પાપડ, વેફર અને અન્ય નાસ્તાની વસ્તુઓ બનાવવાની તાલીમ લીધી. માયાબેન જણાવે છે, “સરકારે અમને 2-3 મહિનાની મફત તાલીમ આપી, જેના થકી અમે આ કામ શીખી શક્યા.
આ તાલીમે અમને આત્મવિશ્વાસ આપ્યો કે અમે પણ કંઈક કરી શકીએ છીએ.” તાલીમ પૂર્ણ કર્યા બાદ શ્રદ્ધા સખી મંડળે નાના પાયે ગૃહઉદ્યોગની શરૂઆત કરી.
શ્રદ્ધા સખી મંડળના ઉત્પાદનો
માયાબેન કહે છે, “શરૂઆતમાં અમે પાંચ બહેનોએ મળીને આ કામ શરૂ કર્યું.
અમે દરરોજ 20 કિલો માલ તૈયાર કરતા હતા અને તેને આજુબાજુના ગામોમાં વેચવા જતા હતા.” આ નાનકડી શરૂઆતથી શ્રદ્ધા સખી મંડળે ધીમે-ધીમે પ્રગતિ કરી.
આજે આ મંડળમાં 5 બહેનો નહીં, પરંતુ 25 બહેનો કામ કરી રહી છે, અને તેમનો વ્યવસાય ઝડપથી વિસ્તરી રહ્યો છે.
શ્રદ્ધા સખી મંડળ આજે 14 અલગ-અલગ ફ્લેવરના ખાખરા બનાવે છે, જે ગ્રાહકોમાં ખૂબ લોકપ્રિય છે. આ ઉપરાંત, તેઓ અડદના પાપડ, બટેટા-સાબુદાણાની વેફર, બટાકાની વેફર, ચક્રી સહિત અનેક પ્રકારના નાસ્તાની વસ્તુઓ બનાવે છે.
આ ઉત્પાદનોની ગુણવત્તા અને સ્વાદે ગ્રાહકોનું દિલ જીતી લીધું છે, જેના કારણે મંડળની માંગ દિવસે-દિવસે વધી રહી છે.
આત્મનિર્ભરતા અને આર્થિક સફળતા
શ્રદ્ધા સખી મંડળની શરૂઆત નાના પાયે થઈ હતી, પરંતુ આજે તે મહિલાઓ માટે આવકનો મોટો સ્ત્રોત બની ગયું છે.
અહીંં દરેક યુનિટમાં 5-6 બહેનો કામ કરે છે. આ યુનિટમાં માલ તૈયાર થાય છે, અને પછી બહેનો તેને તેમના નજીકના વિસ્તારોમાં વેચે છે.
આ અંગે વાત કરતા માયાબેન જણાવે છે, “અમે દરેક બહેનને તેમના વિસ્તાર પ્રમાણે કામ આપ્યું છે, જેથી તેમને દૂર જવું ન પડે.
આનાથી તેમનો સમય અને શક્તિ બંને બચે છે.” માયાબેન વધુમાં જણાવે છે કે, “જ્યારે અમે આ કામ શરૂ કર્યું, ત્યારે અમે મહિને 2,000થી 3,000 રૂપિયા કમાતા હતા.
પરંતુ આજે દરેક બહેન મહિને 10,000થી 12,000 રૂપિયા કમાઈ રહી છે.” આ આવકે બહેનોના જીવનમાં મોટો બદલાવ લાવ્યો છે.
તેઓ હવે પોતાના પરિવારના ભરણપોષણની સાથે બાળકોના શિક્ષણ અને ભવિષ્ય માટે પણ બચત કરી રહી છે.