ભારતીય સેનાને આદર અને સમર્થન આપતા એર ઇન્ડિયા અને એર ઇન્ડિયા એક્સપ્રેસે એક ખાસ સુવિધા પૂરી પાડી છે.
આ નિર્ણય 22 એપ્રિલના રોજ પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા અને ત્યારબાદ શરૂ કરાયેલા ‘ઓપરેશન સિંદૂર’ બાદ લેવામાં આવ્યો છે.
આ એરલાઇન્સે કહ્યું છે કે, જે સંરક્ષણ કર્મચારીઓએ 31 મે, 2025 સુધી મુસાફરી માટે એર ઇન્ડિયા અથવા એર ઇન્ડિયા એક્સપ્રેસમાં ટિકિટ બુક કરાવી છે, જો તેઓ ટિકિટ રદ કરશે તો તેમને પૂરા પૈસા પાછા મળશે.
આ ઉપરાંત, જો તેઓ મુસાફરીની તારીખ બદલવા માંગતા હોય, તો તેમને 30 જૂન, 2025 સુધી કોઈપણ વધારાના ચાર્જ વિના એકવાર આ ફેરફાર કરવાની સુવિધા પણ આપવામાં આવશે.
એર ઇન્ડિયાએ કહ્યું કે, આ પગલું સેનાની નિ:સ્વાર્થ સેવા અને ફરજ પ્રત્યેના તેમના સમર્પણના સન્માનમાં લેવામાં આવ્યું છે.
એર ઇન્ડિયાએ ‘X’ પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, હાલની પરિસ્થિતિમાં, 31 મે, 2025 સુધી એર ઇન્ડિયા અને એર ઇન્ડિયા એક્સપ્રેસ ફ્લાઇટ્સ પર બુકિંગ કરાવનારા સંરક્ષણ કર્મચારીઓ માટે, અમે ટિકિટ રદ કરવા પર સંપૂર્ણ રિફંડ અને 30 જૂન, 2025 સુધી ફ્લાઇટ્સ ફરીથી શેડ્યૂલ કરવા પર એક વખતની છૂટ આપી રહ્યા છીએ જેથી તેમની ફરજની પ્રતિબદ્ધતાઓને સમર્થન મળે.