નિઃસ્વાર્થ પ્રેમ હોય તો આવો” – આ વાક્ય સામાન્ય રીતે પશુ-પક્ષીઓની વફાદારી દ્વારા સાબિત થાય છે, પરંતુ સુરતની ત્રિશા પટેલ નામની 27 વર્ષીય યુવતીએ આ વાક્યને પોતાના જીવનનો આદર્શ બનાવી દીધો છે.
અબોલ પ્રાણીઓ પ્રત્યેનો તેમનો અપાર પ્રેમ અને સમર્પણ એટલું ઊંડું છે કે તેમણે MBBSનો અભ્યાસ છોડીને વેટરનરી ડૉક્ટર બનવાનું નક્કી કર્યું અને નિરાધાર પ્રાણીઓની સેવા માટે પોતાનું જીવન સમર્પિત કરી દીધું છે.
માહિતી અનુસાર,27 વર્ષીય ત્રિશા પટેલે અબોલ પશુઓની સેવા કરવા માટે પર્સનલ લોન લીધી છે.
જેથી આ નિરાધાર પ્રાણીઓનો આધાર બની શકે. પ્રકૃતિના અમૂલ્ય અંગ એવા અબોલ પશુ-પક્ષીઓ જ્યારે બીમાર પડે, ઘાયલ થાય કે તરછોડી દેવાય ત્યારે તેમનું કોણ? – આવો વિચાર આવતાં જ MBBS ના પ્રથમ સેમેસ્ટરમાં અભ્યાસ કરી રહેલી ત્રિશાએ પોતાનો અભ્યાસ મૂકીને મૂંગા પશુઓની સેવામાં જીવન સમર્પિત કરવાનો સંકલ્પ કર્યો છે.
નરથાણ ચોકડી ખાતે શેલ્ટર હોમ
નરથાણ ચોકડી પાસે ત્રિશાએ રેન્ટ પર જગ્યા લઈને શેલ્ટર હોમ બનાવ્યું છે. આ શેલ્ટર હોમની ખાસ બાબત એ છે કે અહીં દરેક પ્રકારના અબોલની સંભાળ રાખવામાં આવે છે, પરંતુ ખાસ કરીને પેરેલાઇઝ કૂતરાઓની સંભાળ પર વિશેષ ધ્યાન આપવામાં આવે છે. અત્યારે તેમની પાસે 35 પેરેલાઇઝ કૂતરા છે, જેમની દૈનિક ક્રિયાથી લઈને તમામ જરૂરિયાતો ત્રિશાબેન અને તેમની ટીમ દ્વારા પૂરી કરવામાં આવી રહી છે.
છેલ્લા ત્રણ વર્ષથી સતત સેવા
ત્રિશા છેલ્લા ઘણા સમયથી રસ્તે રખડતા બીમાર જાનવરોને બચાવી (રેસ્ક્યુ) રહી છે અને ત્રણ વર્ષથી શેલ્ટર હોમ પણ ચલાવી રહી છે.
જેમાં કૂતરા, બિલાડી સહિતના બીમાર પ્રાણીઓ રહે છે. ત્રિશા તેમને જાનવરો તરીકે નહીં પરંતુ બાળકોની જેમ હૂંફ આપી તેમનો ઉછેર કરી રહી છે.
તેમના મતે, તેમના આ કાર્યથી પરિવાર કે મિત્રો ખુશ નથી, પરંતુ તેમણે આ કાર્યને પોતાનું જીવન બનાવી લીધું છે. મહત્વનું છે કે,ત્રિશાએ અત્યાર સુધીમાં કરેલી બધી જ બચત આ શેલ્ટર હોમ પાછળ ખર્ચી નાખી છે.
છેલ્લા પાંચ વર્ષમાં તેણે 350થી વધારે બિલાડી અને કૂતરાઓને નવી જિંદગી આપી છે.લી ત્રિશાએ પોતાનો અભ્યાસ મૂકીને મૂંગા પશુઓની સેવામાં જીવન સમર્પિત કરવાનો સંકલ્પ કર્યો છે.