અયોધ્યાના મેયર ગિરીશ પતિ ત્રિપાઠીએ એક એવો નિર્ણય જાહેર કર્યો છે જેને સાંભળીને લોકો ચોંકી ઉઠયા છે તેમજ નિર્ણયને આવકારી રહ્યા છે.
સુધરાઈએ અયોધ્યા અને ફૈઝાબાદ શહેરોને જોડતા મહત્ત્વપૂર્ણ માર્ગ એવા રામ પથના 14 કિલોમીટરના વિસ્તારમાં દારૂ અને માંસના વેચાણ પર પ્રતિબંધ મૂકવાનો ઠરાવ મંજૂર કર્યો છે.
આ પ્રતિબંધ પાન, ગુટકા, બીડી, સિગારેટ અને મહિલા અને પુરુષોનાં અન્ડરગાર્મેન્ટ્સની જાહેરાત પર પણ લાગુ પડશે.
અયોધ્યામાં માંસ અને દારૂના વેચાણ પર પહેલેથી પ્રતિબંધ છે, પણ આ નિયમનું પાલન થતું નથી.
જોકે સુધરાઈએ મંજૂર કરેલા ઠરાવનો હેતુ ફૈઝાબાદ શહેરના વિસ્તારોને આવરી લેતા સમગ્ર રામ પથ પર પ્રતિબંધો લાગુ કરવાનો છે.
અયોધ્યા સુધરાઈની કારોબારી સમિતિમાં મેયર, નાયબ મેયર અને 12 નગરસેવકોનો સમાવેશ થાય છે.
આ સમિતિમાં ફક્ત એક મુસ્લિમ નગરસેવક સુલતાન અન્સારી છે જેઓ ભારતીય જનતા પાર્ટી (BJP)ના છે.