રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણીને કંપનીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે નિયુક્ત કર્યા.
અનંત 1 મેથી 5 વર્ષ માટે આ પદ સંભાળશે. તેઓ 2023થી કંપનીમાં નોન-એક્ઝિક્યુટિવ ડિરેક્ટર છે. રિલાયન્સે એક્સચેન્જ ફાઇલિંગમાં આ માહિતી આપી છે.
કંપનીએ જણાવ્યું હતું કે, 'રિલાયન્સના ડિરેક્ટર બોર્ડે 25 એપ્રિલના રોજ યોજાયેલી તેમની બેઠકમાં હ્યુમન રિસોર્સ, નોમિનેશન એન્ડ રિમ્યુનરેશન કમિટીની ભલામણ પર વિચાર કર્યો.
નોન-એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અનંત એમ. અંબાણીને હોલ ટાઇમ એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા.
રિલાયન્સના અલગ-અલગ વર્ટિકલના પણ સભ્ય છે અનંત
અનંતને ઓગસ્ટ 2022માં કંપનીના એનર્જી વર્ટિકલની કમાન સોંપવામાં આવી હતી.
આ ઉપરાંત અનંત માર્ચ 2020થી જિયો પ્લેટફોર્મ્સ લિમિટેડ, મે 2022થી રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડ અને જૂન 2021થી રિલાયન્સ ન્યૂ એનર્જી લિમિટેડ તેમજ રિલાયન્સ ન્યૂ સોલર એનર્જી લિમિટેડના બોર્ડ મેમ્બર છે.
તેઓ સપ્ટેમ્બર 2022થી રિલાયન્સની ફિલેન્થ્રોપિક આર્મ- રિલાયન્સ ફાઉન્ડેશનના બોર્ડમાં પણ છે.
આગામી પેઢીને કમાન સોંપી રહ્યા છે મુકેશ અંબાણી
વધતી ઉંમર સાથે મુકેશ અંબાણી પોતાના બિઝનેસ એમ્પાયરને આગામી પેઢીને સોંપવાના પ્લાન પર છેલ્લા કેટલાક વર્ષોથી કામ કરી રહ્યા છે.
28 ડિસેમ્બર 2023ના રોજ પોતાના પિતા ધીરુભાઈના જન્મદિવસે મુકેશ અંબાણીએ કહ્યું હતું-
"રિલાયન્સનું ભવિષ્ય આકાશ, ઈશા, અનંત અને તેમની પેઢીનું છે. મને આમાં કોઈ શંકા નથી કે તેઓ જીવનમાં વધુ સિદ્ધિઓ મેળવશે અને મારી પેઢીના લોકોની તુલનામાં રિલાયન્સ માટે વધુ ઉપલબ્ધિઓ લાવશે."