જમ્મુ-કાશ્મીરમાં પહલગામમાં થયેલા ક્રૂર આતંકી હુમલા બાદ પાકિસ્તાન સાથેની તંગદિલી વચ્ચે ભારત અને ફ્રાન્સે 63000 કરોડ રૂપિયાની ડીલ પર હસ્તાક્ષર કર્યા છે.
આ ડીલ હેઠળ ભારતને 26 રાફેલ મરીન ફાઈટર જેટ મળશે.
આ સાથે જ હવે પાકિસ્તાનની મુશ્કેલી વધશે કેમ કે ભારતીય નેવી પણ રાફેલ વિમાન સાથે પ્રહારો કરવામાં સક્ષમ બનશે.
રાફેલ ભારતને કેટલા મળશે?
6.6 અબજ યુરો એટલે કે 63,887 કરોડ રૂપિયાના આ સોદામાં ભારતને 22 નંગ સિંગલ-સીટ રાફેલ-એમ (Rafale-M) જેટ અને 4 નંગ ટ્વીન-સીટ જેટ એમ કુલ 26 નંગ પ્લેન મળશે.
એ ઉપરાંત આ રકમમાં શસ્ત્રો, સિમ્યુલેટર, ક્રૂને આપવામાં આવનારી તાલીમ, વિમાનોની જાળવણી સહાય તથા પાંચ વર્ષ માટે પ્રદર્શન-આધારિત લોજિસ્ટિક્સનો સમાવેશ થાય છે.
ભારતીય વાયુસેના દ્વારા હાલમાં જે 36 નંગ રાફેલ વિમાનો ઉપયોગમાં લેવાઈ રહ્યા છે એના સ્પેરપાર્ટ્સ અને સાધનોનો પણ આ ડીલનાં સમાવેશ થાય છે.
આ ભારતનો અત્યાર સુધીનો સૌથી મોટો વિદેશી સંરક્ષણ સોદો છે.
સોદો ક્યારે થશે?
ફ્રાન્સના સંરક્ષણ પ્રધાન સેબેસ્ટિયન લેકોર્નુ 27 એપ્રિલે ભારત આવવાના હતા, પણ આતંકવાદી હુમલાને લીધે સર્જાયેલી તંગદિલીને લીધે તેમણે ભારતની યાત્રા મુલતવી રાખી હતી.
તેથી હવે બંને દેશોના સુરક્ષા અધિકારીઓએ 28 એપ્રિલ, નવી દિલ્હીમાં આ ડીલ પર હસ્તાક્ષર કર્યા હતા.
બંને દેશના સંરક્ષણ મંત્રી વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી આ મીટિંગમાં હાજર રહ્યા હતા.
રાફેલ ભારતને ક્યારે મળશે?
રાફેલ જેવા અત્યાધુનિક ફાઈટર જેટ પ્લેનના નિર્માણ અને પરીક્ષણમાં ખાસ્સો સમય લાગતો હોવાથી વર્તમાન સોદાની ડિલિવરી મેળવવા માટે ભારતે ઓછામાં ઓછા ચાર વર્ષ રાહ જોવી પડશે.
પહેલો બેચ 2029 ના અંત સુધીમાં મળવાની અપેક્ષા છે, જ્યારે સમગ્ર ઓર્ડર 2031 સુધીમાં પૂરો પાડવામાં આવશે.
આ વિમાનો INS વિક્રમાદિત્ય અને INS વિક્રાંત જેવા વિમાનવાહક જહાજો પરથી સંચાલિત થશે.