કેન્દ્ર સરકારે ગત બજેટમાં આવકવેરા મુકિત મર્યાદામાં મોટો વધારો કરીને મહત્વની રાહત આપી હતી.
હવે ઈન્કમટેકસ સંબંધી નિયમો વધુ કડક બનાવવામાં આવ્યા છે અને આવક કરમુકત હોવાનુ ગણીને રીટર્ન ફાઈલ ન કરનારા લોકોને સરકારી યોજનાના લાભો ન આપવા સહિતના આકરા નિયમો ઘડવામાં આવ્યા છે.
ભારતમાં આવકવેરા રીટર્ન ફાઈલ કરવાની એક મહત્વપૂર્ણ પ્રક્રિયા છે. કાયદાકીય રીતે અનિવાર્ય રહેવાની સાથોસાથ અનેક રીતે ફાયદારૂપ પણ છે.
કેન્દ્ર સરકારે તાજેતરમાં આવકવેરા રીટર્નને લગતા નિયમોમાં કેટલાંક ફેરફાર કર્યા છે જે કરદાતાઓ માટે ફાયદારૂપની સાથોસાથ પડકારજનક પણ બની શકે તેમ છે.
નવા નિયમ હેઠળ આવકવેરા રીટર્ન ફાઈલ ન કરનારા કરદાતાઓ સરકારી સુવિધા તથા યોજનાઓનાં લાભોથી વંચિત રહી શકે છે.
સરકારે બજેટમાં જ આવકવેરા તથા રીટર્નનાં નિયમોમાં બદલાવ કરી લીધો હતો જે અંતર્ગત 12 લાખ રૂપિયા સુધીની આવક કરમુકત રહેવાની ઘોષણા કરવામાં આવી હતી.
જોકે, આનો મતલબ એ નથી કે આવક 12 લાખથી ઓછી હોવાનું ગણીને કરદારા રીટર્ન ભરવાનું બંધ કરી દે.
કર ચુકવવાનો થતો ન હોય તો પણ રીટર્ન ફાઈલ કરવાનું અનિવાર્ય છે. અન્યથા નાણાંકીય દંડનો સામનો કરવો પડી શકે છે. ઉપરાંત સરકારી લાભોથી પણ વંચીત રહેતુ પડી શકે છે.
કરવેરા નિષ્ણાંતોનાં કહેવા પ્રમાણે બેંકો કે નાણાંકીય સંસ્થાઓમાંથી ધિરાણ મેળવવાથી માંડીને વિદેશ પ્રવાસમાં ઈમીગ્રેશન પ્રક્રિયામાં રીટર્ન જરૂરી છે.
આ સિવાય ટીડીએસ કપાતનાં સંજોગોમાં રીફંડ મેળવવા પણ રીટર્ન જરૂરી બની જાય છે.
નવા નિયમો હેઠળ સરકાર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યુ હતું કે આવકવેરા રીટર્ન ફાઈલ નહિં કરનારા કરદાતાઓને પ્રધાનમંત્રી આવાસ યોજના, ઉજજવલ યોજના જેની સરકારી કલ્યાણકારી યોજનાઓનો લાભ મળી શકતો નથી પેન્શન તથા અન્ય સબસીડીના લાભ માટે પણ રીટર્ન ફાઈલ કરવાનું અનિવાર્ય છે.
આવકવેરા રીટર્ન ન ભરતા કે નિયત સમય કરતાં વિલંબથી ભરનારાની આવક પાંચ લાખથી વધુ હોય તો 5000 ની પેનલ્ટી લાગે છે.
પાંચ લાખની ઓછી આવક પર 1000 ની પેનલ્ટી લાગે છે. નવી જોગવાઈઓ હેઠળ આવકવેરાની બેઝીક મુકિત મર્યાદા ચાર લાખ તથા સ્ટાર્ન્ડડ ડીડકશન 75000 છે.