કેન્દ્ર સરકાર જો વિદેશ મંત્રાલયની સ્થાયી સમીતીની ભલામણો સ્વીકારી લે છે તો ભવિષ્યમાં પ્રવાસી ભારતીયો (NRI)ને ઈલેકટ્રોનીક પોસ્ટલ બેલેટથી મતદાન કરવાનો અધિકાર મળી શકે છે.
તેના માટે પહેલા જન પ્રતિનિધિત્વ કાનૂનમાં સંશોધન કરવું પડશે. ખરેખર તો હાલમાં સમીતી દ્વારા કરાયેલી ભલામણો બાદ વિદેશ મંત્રાલય આ મુદાને કાનૂન તેમજ ન્યાય મંત્રાલય સમક્ષ ઉઠાવી શકે છે.
સમિતિના હાલમાં સંસદમાં રજુ થયેલા રિપોર્ટમાં કહેવામા આવ્યું છે કે 4 એપ્રિલે યોજાયેલી સમીતીની બેઠકમાં આ મુદા પર ઉંડી ચર્ચા થઈ હતી.
જેમાં વિદેશ મંત્રાલયના સચીવે કહ્યું હતું કે, આ મુદાને કાનૂન મંત્રાલય સમક્ષ અગાઉ ઉઠાવાયો હતો, ત્યારથી આ મામલો પેન્ડીંગ છે.
સચીવના અનુસાર ત્યારે એ પ્રસ્તાવ હતો કે વિદેશોમાં સ્થિત ભારતીય દૂતાવાસોમાં મતદાન કેન્દ્રોની સ્થાપના કરવામાં આવે જેથી ચૂંટણીના દિવસોમાં ત્યાં પ્રવાસી ભારતીય પોતાનો વોટ આપી શકે, જો કે, વિદેશ મંત્રાલયનું માનવું હતું કે બિન લોકશાહી દેશો આ પ્રક્રિયા પર વાંધો ઉઠાવી શકે છે.
હાલની વ્યવસ્થા બેહદ ખર્ચાળ: કેન્દ્ર સરકારે 2020માં જન પ્રતિનિધિ કાયદામાં સંશોધન કરીને વિદેશમાં રહેતા ભારતીયોના ઓવરસીઝ વોટર તરીકે રજીસ્ટ્રેશનની સુવિધા પ્રદાન કરી હતી.
પરંતુ તેમાં મતદાતાએ મતદાન માટે ભારત આવવું પડતું હતું.
આ પ્રક્રિયા ખૂબ જ ખર્ચાળ હોઈ પ્રવાસી ભારતીયોએ તેનો કોઈ રસ નહોતો દાખવ્યો. 2024ની લોકસભા ચૂંટણી દરમિયાન 1,19,374 લોકો ઓવરસીઝ મતદાતા તરીકે રજીસ્ટર્ડ હતા.
જેમાંથી માત્ર 2958 લોકો જ મતદાન માટે આવેલા. જેમાં યુપી, કર્ણાટક, તામિલનાડુ જેવા રાજયોમાં કોઈ વોટ દેવા નહોતા આવ્યા.