ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે. કાળઝાળ ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠે છે.
આવા સમયે કેટલીક જગ્યાએ લોકોને વિનામૂલ્યે છાશ પીવડાવવામાં આવે છે.
પરંતુ ગરમીથી પીડાતા પક્ષીઓનું શું થાય? આવા વિચાર સાથે રાજકોટમાં બે વ્યક્તિઓ દર ઉનાળામાં કબુતરોની અનોખી રીતે સેવા કરે છે.
ગરમીમાં કબુતરોને ટાઢક મળી રહે તે માટે રાજકોટ રેસકોર્ષમાં દરરોજ 200થી 300 કિલો બરફ મંગાવવામાં આવે છે.
જેથી કબુતરોને ઠંડા પાણીમાં રહીને ગરમીથી રાહત મેળવી શકે.
લોકલ 18 સાથે વાત કરતા જીવદયાપ્રેમી મુકેશભાઈ બારોટે જણાવ્યું કે, "હું અને આસિફભાઈ છેલ્લા 20 વર્ષથી કબુતરની સેવામાં જોડાયેલા છીએ.
ઉનાળામાં અમે દરરોજ કબુતરો માટે 200-300 કિલો બરફની પાટ લાવીએ છીએ.
લોકો અમને બરફ લાવવા માટે પૈસા આપે છે અને અમે આ પૈસાથી બરફ લાવીએ છીએ.
ઘણા લોકો કારખાનાથી સીધા બરફ લઈને આવે છે.
ઉનાળામાં દરરોજ કબુતરોને ઠંડુ પાણી આપવામાં આવે છે.
જેથી ઉનાળામાં કબુતરોને ગરમીથી રાહત મળે.
દરરોજ રેસકોર્ષના આ મેદાનમાં 3થી 4 હજાર કબુતરો આવે છે.
ઠંડુ પાણી પીવડાવવાનો કેવી રીતે આવ્યો વિચાર?
અહીંયા ઘાયલ પક્ષીઓ માટે પણ વિશેષ વ્યવસ્થા છે. ઘાયલ પક્ષીઓ માટે અહીંયા મેડિકલ કીટ છે.
મેડિકલ કીટ વડે પક્ષીઓની સારવાર કરવામા આવે છે.
જો જરૂર પડે તો ઘાયલ પક્ષીઓને સારવાર માટે દવાખાન પણ લઈ જવામાં આવે છે.
કબુતરો અને લોકોને ઈન્ફેક્શન ન લાગે તે માટે પાણીમાં દવા પણ નાખવામાં આવે છે.
મુકેશભાઈએ આગળ જણાવ્યું કે, ઉનાળામાં આપણને ગરમી લાગે તો ઠંડુ પાણી અથવા ઠંડા પીણા પીતા હોઈએ છીએ.
તો આવી ગરમી તો પક્ષીઓને પણ લાગતી હશે. તેેઓને પણ ઠંડુ પાણી પીવાની ઈચ્છા થતી હશે.
તેથી અમને આ કામ કરવાનો વિચાર આવ્યો. અમારી આ કામગીરીમાં લોકો યથાશક્તિ મદદ કરી રહ્યા છે.