ભારતે માનવતાવાદી અભિગમના પગલે 2016માં શ્રીલંકાને 88 એમ્બ્યુલન્સ ભેટ આપી હતી.
ત્યારબાદ શ્રીલંકા પાસે કુલ 322 એમ્બ્યુલન્સ થઈ ગઈ છે.
આ એમ્બ્યુલન્સને શ્રીલંકામાં ઈમરજન્સી કામગીરીમાં તૈનાત કરાઈ છે, જેના કારણે અત્યાર સુધીમાં 15 લાખ લોકોના જીવ બચી ગયા છે.
તાજેતરમાં જ મ્યાનમારમાં ભૂકંપ આવ્યો હતો, જેમાં હજારો લોકોએ જીવ ગુમાવ્યા હતા અને હજારો લોકો ઈજાગ્રસ્ત થયા હતા.
ભારતે એક સાચા પાડોશી દેશ તરીકે માનવતા દાખવી અને મ્યાનમારને તમામ પ્રકારની મદદ કરી.
ભારતે શ્રીલંકાને 88 એમ્બ્યુલન્સ ભેટ આપી હતી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શ્રીલંકાને 2016માં 88 એમ્બ્યુલન્સ ભેટ અપાઈ હતી.
આ વાહનો લોકોના અમૂલ્ય જીવન બચાવવામાં મદદરૂપ સાબિત થઈ રહ્યા છે.
સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, શ્રીલંકાએ ભારત દ્વારા ભેટમાં આપેલી એમ્બ્યુલન્સનો ઉપયોગ કરવા માટે નવી નેશનલ ઈમરજન્સી એમ્બ્યુલન્સ સેવા શરૂ કરી હતી.
સમય જતાં એમ્બ્યુલન્સના કાફલામાં વધુ વાહનો ઉમેરવામાં આવ્યા.
શ્રીલંકા પાસે કુલ 322 એમ્બ્યુલન્સ
શ્રીલંકાના સ્વાસ્થ્ય અને મીડિયા મંત્રી નલિંદા જયતિસાએ કહ્યું કે, અમારા દેશ પાસે કુલ 322 એમ્બ્યુલન્સ છે, તેનો ઉપયોગ દેશભરમાં મફત ઈમરજન્સી ટ્રાન્સપોર્ટ સેવાઓ પૂરી પાડવા માટે થઈ રહ્યો છે.
2016થી અત્યાર સુધીમાં એમ્બ્યુલન્સથી 22.4 લાખ ઈમરજન્સી કેસ હેન્ડલ કરાયા છે, જેમાં મુખ્યત્વે માર્ગ અકસ્માત, હાર્ટ અથવા સ્ટ્રોકના કેસો સામેલ છે.
તમારી ઉદારતાના કારણે અત્યાર સુધીમાં લગભગ 15 લાખ લોકોના જીવ બચાવી શકાયા છે.
અમારી એમ્બ્યુલન્સ સેવાઓની સફળતાની કહાની બે પડોશી દેશો વચ્ચેના સહકારનું ઉદાહરણ છે.