આમ તો અમદાવાદમાં અનેક સંસ્થાઓ કાર્યરત છે. ત્યારે અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં આવેલ પીપળેશ્વર મહાદેવ સેવા મંડળ દ્વારા અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ દર્દીઓ તેમજ તેમના પરિવારજનોને ખીચડીના પ્રસાદની સેવા પૂરી પાડવામાં આવી રહી છે. મહત્વની વાત તો એ છે કે, તેઓ દર રવિવારે સવારે આશરે 400-450 લોકોને મફતમાં ખીચડીનો પ્રસાદ આપી રહ્યા છે. સામાજિક કાર્યકર્તા બિપીનભાઈ નાયક સાથે વાત કરતા જણાવ્યું કે, તેઓ હાલ AMTS માં બસ ડ્રાઈવર તરીકે ફરજ બજાવી રહ્યા છે. જો કે તેમને પહેલેથી જ સમાજ સેવા કરવાનો ખૂબ શોખ હતો. તેથી તેઓ વિચારતા હતા કે, તેઓ પણ કોઈ એવી સેવા કરશે જે લોકોને સહાયરૂપ બની શકે. તેમને કેટલીક વાર કોઈ કારણસર સોલા સિવિલ હોસ્પિટલ જતા ત્યારે તેમણે જોયું કે, ત્યાં રવિવારના દિવસોમાં કોઈ ભોજન સેવા આપતું નથી. એ પછી તેમણે રવિવારે 4-5 મિત્રો સાથે મળીને ખીચડી બનાવી તેનું વિતરણ ચાલુ કર્યું.
શરૂઆતમાં તેમને લાગતું હતું કે, તેઓ દર રવિવારે આ સેવાને પહોંચી નહિ વળે. તેથી તેઓ એક રવિવાર મૂકીને એક રવિવારે ખીચડી આપવાનું નક્કી કર્યું. પરંતુ તેમના આ ભગીરથ કાર્યની જેમ જેમ લોકોને ખબર પડતી ગઈ તેમ તેમ લોકો પણ તેમને આર્થિક અને સામાજિક સહયોગ પૂરો પાડવા લાગ્યા અને તેમના આ ખીચડી પ્રસાદના કાર્યમાં જોડાઈ ગયા. શરૂઆતમાં તેઓ 80-100 લોકોને ખીચડીની સેવા પૂરી પાડતા હતા. પરંતુ લોકોના સહયોગથી આજે તેમના મંડળ દ્વારા દર રવિવારે સવારે 400-450 લોકોને ખીચડીની સેવા પૂરી પાડી રહ્યા છે. સામાજિક કાર્યકર્તા બ્રિજેશભાઈ ભાવસાર સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે, તેઓ એક બિઝનેસમેનની સાથે સાથે સામાજિક કાર્યકર્તા પણ છે. હાલ તેઓ અમદાવાદ સોલા સિવિલ ખાતે દર રવિવારે આશરે 400-450 લોકોને ખીચડીના પ્રસાદની સેવા આપી રહ્યા છે. મહત્વની વાત તો એ છે કે 2017 થી લઈને આજ સુધી તેઓ અને તેમના મંડળ દ્વારા અવિરતપણે રવિવારના દિવસે ખીચડી વિતરણ કરતા આવ્યા છે. એટલું જ નહિ તેઓ સિઝન પ્રમાણે પનીર ખીચડી, ઉંધિયું ખીચડી, વેજિટેબલ ખીચડી એમ જુદા જુદા પ્રકારની ખીચડી પણ બનાવે છે.
આ સાથે તેનો વઘાર પણ તેઓ અને તેમના ગ્રુપ દ્વારા જાતે કરવામાં આવે છે અને તેનું વિતરણ પણ તેમના મંડળ દ્વારા જ કરવામાં આવે છે. વધુમાં આ ખીચડીને સોલા સિવિલ હોસ્પિટલ સુધી લઈ જવા માટે ખાસ વાહનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. આ સિવાય ખીચડીના ટેસ્ટની વાત કરીએ તો તેમના દ્વારા બનાવવામાં આવેલી આ ખીચડી સાત્વિક અને ટેસ્ટફુલ હોય છે. તેથી હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સાથે તેમના પરિવારજનો, હોસ્પિટલનો સ્ટાફ પણ આ ખીચડીના પ્રસાદનો લાભ લે છે. વધુમાં જણાવતા કહે છે કે, આ ખીચડીની સેવા અવિરતપણે ચાલુ રાખવા માટે તેમના ગ્રુપના સભ્યો દ્વારા ભંડોળ ભેગું કરવામાં આવે છે અને જે રકમ ભેગી થાય તેમાંથી તેઓ ખીચડી બનાવવાનો સામાન ખરીદતા હોય છે. આ સિવાય ઘણા લોકો તેમના પરિવારમાં આવતી કોઈની તિથિ, જન્મદિવસ કે અન્ય પ્રસંગોપાત નાનું-મોટું ભંડોળ આપતા હોય છે. ઘણા લોકો તો તેમને ચોખા, દાળ, શાકભાજી જેવી વસ્તુઓ લાવી આપતા હોય છે. જેની મદદથી તેઓ સ્વાદિષ્ટ ખીચડી બનાવતા હોય છે.