આવતાં વર્ષે ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન થવાનું છે. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે પહેલાથી જ આ ટૂર્નામેન્ટને હાઇબ્રિડ મોડલમાં આયોજિત કરવાની માહિતી આપી હતી. સુત્રો અનુસાર ભારત તેની તમામ મેચો દુબઈમાં રમી શકે છે. તે જ સમયે, જો રોહિત શર્મા અને ભારતીય ટીમ સેમિ-ફાઇનલ અને ફાઇનલ માટે ક્વોલિફાય કરવામાં સફળ થાય છે, તો તેઓ તેમની તમામ મેચો યુનાઇટેડ આરબ અમીરાતમાં રમશે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના નજીકનાં એક સૂત્રએ જણાવ્યું હતું કે, પીસીબી અધ્યક્ષ મોહસિન નકવી અને તેમનાં યુએઈ સમકક્ષ શેખ નાહયાન અલ મુબારક વચ્ચેની બેઠક બાદ દુબઈને ફાઈનલ સ્થળ તરીકે પસંદ કરવામાં આવ્યું છે. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલએ કહ્યું હતું કે, ભારત અને પાકિસ્તાન વચ્ચેની તમામ મેચ ફાઈનલ સ્થળો પર રમાશે. આનો અર્થ એ થયો કે હવે બંને ટીમો કોઈપણ આઇસીસી ટૂર્નામેન્ટમાં એકબીજાનાં દેશનો પ્રવાસ નહીં કરે અને બંને ટીમો વચ્ચેની મેચ યુએઈ ખાતે રમાશે. આ નિયમ 2024-2027 સુધી અમલમાં રહેશે. આનાથી સ્પષ્ટ થયું કે ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન હાઇબ્રિડ મોડલમાં જ થશે. આઇસીસીએ હજુ સુધી ચેમ્પિયન્સ ટ્રોફીના કાર્યક્રમની પુષ્ટિ કરી નથી. આઈસીસીએ કહ્યું કે, આગામી ટુર્નામેન્ટનું સમયપત્રક ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. આ ટુર્નામેન્ટમાં કુલ આઠ ટીમો ભાગ લેશે, જેમાં ભારત અને પાકિસ્તાન સિવાય અફઘાનિસ્તાન, ઓસ્ટ્રેલિયા, બાંગ્લાદેશ, ઈંગ્લેન્ડ, ન્યુઝીલેન્ડ અને દક્ષિણ આફ્રિકાનો સમાવેશ કરવામાં આવ્યો છે.