ઘણા સ્લમ વિસ્તારમાં રહેતા બાળકો શિક્ષણથી વંચિત રહી જાય છે. જે લોકોને શિક્ષણ અને જરૂરિયાતની ચીજવસ્તુઓ પૂરી પાડવા માટે અનેક સંસ્થાઓ તેમજ સોશિયલ વર્કર કાર્ય કરતા હોય છે. જો કે, સુરતના પાંડેસરામાં એક એવું ગ્રુપ છે, જેમણે સ્લમ વિસ્તારના બાળકો માટે એક અનોખી શિક્ષણની ચેઇન બનાવી છે. ઉધના અને પાંડેસરા વિસ્તાર માત્ર હત્યા કે નાની-મોટી ચોરીના બનાવ માટે જ નહીં પરંતુ દારૂની લત માટે પણ કુખ્યાત વિસ્તાર છે. અહીં કિશોરો અને યુવાનોથી લઈને મોટી ઉંમરના પુરુષો નશા અને દારૂની લતે ચડી જાય છે. જેથી ઘણા બાળકો શિક્ષણથી વંચિત રહી જાય છે. ખાસ કરીને પાંડેસરા નાગસેન નગરનો વિસ્તાર એવો છે, જ્યાં નાના-નાના બાળકો પણ ભણવાની જગ્યાએ નાની-મોટી ચોરી કે નશાના રવાડે ચડી ગયા હોય તેવા કિસ્સા ભૂતકાળમાં બની ગયા છે. જેથી નાના બાળકોના સારા ભવિષ્ય માટે આ વિસ્તારમાં સાત યુવાનોના ગ્રુપ દ્વારા વ્યસન અંગે જાગૃતતા લાવવાના તેમજ આવા બાળકો શિક્ષણ તરફ પાછા વળે એવા પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે.
પાંડેસરાના નાગસેના નગરમાં આ ગ્રુપ દ્વારા બૌદ્ધ વિહાર નામનું સ્થળ બનાવવામાં આવ્યું છે. જ્યાં પતરાના શેડમાં બે રૂમ બનાવવામાં આવ્યા છે. હાલ ઝૂંપડપટ્ટીમાં રહેતા આ બાળકોને ભણતર સાથે જોડવા માટે અગત્યનો ભાગ ભજવી રહ્યા છે. અહીં વર્ષ 2009થી આ ગ્રુપ શ્રમિકોના બાળકોને ભણાવી રહ્યા છે. જાણવા જેવી બાબત એ છે કે, આ યુવાઓના હાથે ભણનાર વિદ્યાર્થીઓ આજે ગ્રેજ્યુએશન સુધી પહોંચી ગયા છે અને સરકારી પરીક્ષાની તૈયારીઓ પણ કરી રહ્યા છે. ખાસ વાત એ છે કે, આ ગ્રુપમાં બાળકોને ભણાવનારા જે શિક્ષકો પોતે પણ અહીં જ નિઃશુલ્ક ટ્યુશન ભણી ચૂક્યા છે અને હાલ તેઓએ તેમના જેવા અન્ય બાળકોને ભણાવીને તેમને પગભર કરવાનું બીડું ઝડપ્યું છે.
આ વિદ્યાર્થીઓ હાલ જાતે તો ભણી રહ્યા છે અને આ વિસ્તારના બાળકોને નિઃશુલ્ક ભણાવવા માટે દરરોજ સાંજે 6 થી 8 એમ બે કલાકનો સમય પણ ફાળવી રહ્યા છે. છૂટક મજૂરી કરીને પરિવારનું ભરણપોષણ કરતા અને ભાડાના મકાનમાં રહેતા આવા પરિવારના બાળકોને શિક્ષણ આપવાની માનવતા અને શિક્ષણની ચેઇન કદાચ જવલ્લે જ જોવા મળતી ઘટના છે. અહીં ધોરણ 1 થી 12 સુધીના વિદ્યાર્થીઓને નિઃશુલ્ક ભણાવવામાં આવે છે. અહીં વિદ્યાર્થીઓ વ્યસન ન કરે તેમજ તેમનાથી નાના-મોટા દરેકનો આદર કરે તે માટે પણ પ્રયત્ન કરવામાં કરાય છે. જેથી આજે પરિસ્થિતિ એવી છે કે, તેમાંથી કોઈને પણ વ્યસન નથી. તેઓ સોપારી ખાતા પણ દેખાતા નથી. અહીં જે બાળકોએ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવી હોય તેઓને પણ માર્ગદર્શન આપવામાં આવે છે.