સદ્ભાવના વૃદ્ધાશ્રમમાં વડિલોને સાચવવાની સાથોસાથ વૃક્ષારોપણ અને બ્લડ ડોનેશન કેમ્પનું કાર્ય પણ કરવામાં આવે છે.સદ્ભાવના વૃદ્ધાશ્રમે આગામી 5 વર્ષમાં 100 કરોડથી વધારે વૃક્ષોનું વાવેતર કરીને તેનો ઉછેર કરવાનો લક્ષ્યાંક નક્કી કર્યો છે. સદ્ભાવના વૃદ્ધાશ્રમ ભારતને ગ્રીન ઈન્ડિયા બનાવવાના લક્ષ્યાંક સાથે આગળ વધી રહ્યો છે.
સદ્ભાવના વૃદ્ધાશ્રમના ટ્રસ્ટી વિજયભાઈ ડોબરિયાએ લોકલ 18ને જણાવ્યું કે, સદભાવના વૃદ્ધાશ્રમ ટીમ દ્વારા વૃક્ષારોપણ, બ્લડ ડોનેશન કેમ્પ કરવામાં આવે છે. પરંતુ વૃક્ષારોપણ અને બ્લડ ડોનેશન કેમ્પ લોકો માટે નોર્મલ થઈ ગયું છે. આઝાદીના 75 વર્ષ પછી પણ ઘણી જગ્યાઓ સાવ ઉજ્જડ જોવા મળી રહી છે. વિજયભાઈએ આગળ જણાવ્યું કે, 200 વર્ષે એક જ વખત વૃક્ષ વાવવું પડે છે. એક વખત તમે પીપળો વાવી દો, પછી 200 વર્ષ સુધી ત્યાં વૃક્ષ વાવવાની જરૂર નથી. રાજકોટમાં તમે 1 લાખ ઝાડ વાવી દો. ત્યારબાદ તમારે 200 વર્ષ સુધી ઝાડ વાવવાની જરૂર નથી. આ વિચાર સાથે વિજયભાઈએ વૃક્ષારોપણનું કામ તેમને પોતાના ગામથી શરૂ કર્યું હતું.
વિજયભાઈએ જણાવ્યું કે, સૌથી પહેલા મેં મારા ગામમાં 1 હજાર વૃક્ષ વાવીને આ શરૂઆત કરી હતી. જેના માટે તેમણે ટેન્કર અને ટ્રેક્ટર પણ ખરીદ્યું છે. મેં ઝાડ માટે પીંજરા પણ લીધા. મારું આ કામ આસપાસના ગામના લોકોને પણ ગમ્યું. જેથી તેમનો પણ સહકાર મળ્યો. વિજયભાઈએ 5 જુન 2014થી પોતાના ગામ એટલે કે પડધરી તાલુકાના ફતેપુર ગામથી વૃક્ષારોપણ કરવાનું શરૂ કર્યું હતું. છેલ્લા 10 વર્ષમાં સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા 30 લાખથી વધારેનું વૃક્ષોનું વાવેતર કર્યું છે. સિસ્ટમ એવી રીતે બનાવવામાં આવી કે, વૃક્ષને દર ચાર દિવસે પાણી મળી જાય છે. 1 મહિને ખાતર મળી જાય અને દર ત્રણ મહિને સ્પોન્સરને તેનો ફોટો મળી જાય છે. જે પણ સોપન્સર હોય તેને દર 3 મહિને 4 વર્ષ સુધી ફોટો મોકલવામાં આવે છે. તેનું નામ પણ લખવામાં આવે છે. અત્યારે વિજયભાઈ અને તેની ટીમ ગુજરાતના 18 જિલ્લાઓમાં વૃક્ષારોપણનું કામ કરી રહી છે. આ કામમાં હવે નગરપાલિકાઓનો સપોર્ટ પણ મળી રહ્યો છે. રાજકોટ નગર પાલિકા છેલ્લા 4 વર્ષથી સદ્ભાવના વૃદ્ધાશ્રમને સપોર્ટ કરી રહી છે. વડોદરા નગરપાલિકાએ 25 હજાર ઝાડ સ્પોન્સર કર્યાં હતાં. આ સાથે જ રાજ્ય સરકારે સોમનાથથી દ્વારકા માટે અમારી સાથે ભાગીદારી કરી છે. 50 ટકા પૈસા સરકાર આપે છે અને 50 ટકા પૈસા સ્પોન્સર દ્વારા આપવામાં આવી રહ્યાં છે. સદભાવના વૃદ્ધાશ્રમ પાસે અત્યારે 400 ટ્રેક્ટર, 400 પાણીના ટેન્કર અને 1600 કર્મચારીઓનો સ્ટાફ છે. અમારો સ્ટાફ એક પણ ઝાડ સુકાવા દેતો નથી. આગામી 5 વર્ષમાં આખા ભારતમાં 150 કરોડથી વધારે વૃક્ષો વાવીને આખા ભારતને ગ્રીન કરવાનો વિજયભાઈનો લક્ષ્ય છે.