નવદુર્ગાનો પવિત્ર તહેવાર એવી નવરાત્રિ નજીક આવી રહી છે. નોરતા દરમિયાન ઘણાં ભાવિ ભક્તો પાવાગઢમાં મહાકાળી માતાના મંદિરે દર્શનાર્થે જતાં હોય છે. ત્યારે આ વખતે નવલાં નોરતામાં મહાકાળી માતાના આશીર્વાદ લેવા જતાં ભક્તોને ખાસ સુવિધાનો લહાવો મળશે. પાવાગઢમાં ટૂંક જ સમયમાં ડુંગર ઉપર જ રહેવાની સગવડ, મોટું અન્નક્ષેત્ર, યજ્ઞકુંડ અને નવા પાર્કિંગ જેવી સુવિધાનો લાભ મળશે. અત્યાર સુધી દૂર-દૂરથી આવનાર માઈ ભક્તોને ત્યાં રહેવાની મુશ્કેલી પડતી હતી. પરંતુ, હવે યાત્રાળુઓને તકલીફ નહીં પડે. કારણ કે, હવે ડુંગર ઉપર જ રહેવાની સુવિધા મળશે.
શભરમાંથી મકાકાળીના દર્શન માટે વિવિધ ભક્તો આવે છે. ઘણીવાર ધાર્મિક સ્થળોએ ભક્તોનું ઘોડાપૂર હોવાથી લોકોનો જેટલો ધસારો હોય છે, તેટલી રહેવાની સુવિધા મળતી નથી. જેના કારણે ભક્તોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. પરંતુ, હવે પાવાગઢના ડુંગર ઉપર જ મોટી ડોરમેટરીની સુવિધા ઉપલબ્ધ કરાવવાની તૈયારી થઈ રહી છે. જેથી લોકો રાત્રિ દરમિયાન આવ્યા હોય તો દિવસે બે-ત્રણ કલાક આરામ માટે રોકાઈ શકે. આ સિવાય પાવાગઢમાં દર્શને આવતાં ભક્તોને જમવાની મુશ્કેલી ન પડે તે માટે પણ આયોજન કરાયું છે. પાવાગઢમાં વિશાળ અન્નક્ષેત્રનું કામ પણ હવે પૂર્ણ થવાની તૈયારીમાં છે. આ અન્નક્ષેત્રમાં એકસાથે 600થી વધુ લોકો સાથે બેસીને ભોજન કરી શકશે.