વડોદરામાં આવેલા પૂરના કારણે અનેક વિસ્તારો પૂરના પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. પૂરના પાણી ભરાઈ જતા નીચાણવાળા વિસ્તારોમાં અને સિટીમાં રહેતા ગરીબ બાળકોની શૈક્ષણિક કીટોને ભારે નુકસાની થઈ હતી. શ્રવણ સંસ્થા વિદ્યાર્થીઓને ચોપડા સહિતની વસ્તુઓ આપશે.
શહેર હવે પૂરની પરિસ્થિતિમાંથી બહાર આવી રહ્યું છે, ત્યારે સરકારી શાળામાં ભણતા વિદ્યાર્થીઓને શિક્ષણ સામગ્રીનું પણ મોટું નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે. આ સમયે પુરગ્રસ્ત વિદ્યાર્થીઓને મદદરૂપ થવાના પ્રયત્નોમાં શ્રવણ સેવા ફાઉન્ડેશન જોડાયું છે. વિદ્યાર્થીઓના અભ્યાસમાં કોઈ અડચણ ન આવે તે માટે 5 હજારથી વધુ ચોપડા અને શૈક્ષણિક કીટ એકત્ર કરવાનું કાર્ય શરૂ કરવામાં આવ્યું છે.
સમગ્ર અભિયાનને લઈને શ્રવણ સેવા ફાઉન્ડેશનના નીરવ ઠક્કરે જણાવ્યું હતું કે, શ્રવણ સેવા ફાઉન્ડેશન છેલ્લા સાડા ત્રણ વર્ષથી જરૂરીયાતમંદ લોકો માટે નિયમિત મદદ કરી રહ્યું છે. તાજેતરમાં શહેર-જિલ્લામાં ભયાનક પૂરની સ્થિતિ સર્જાઇ હતી. જેમાં લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા. અને મોટું નુકસાન પહોંચ્યું હતું. તે અંગે લોકોને મદદરૂપ થવા માટે સરકાર તેમનાથી થતા પ્રયત્નો કરી રહી છે. ત્યારે અમારા ધ્યાને આવ્યું કે, સરકારી શાળામાં ભણતા વિદ્યાર્થીઓ દ્વારા તેમના ચોપડા ડિવાઇડર પર સુકવીને તેનો પુન ઉપયોગ કરી શકાય તેવા પ્રયત્નો કરી રહ્યા છે.