મૂળ ઉત્તર પ્રદેશના જૌનપુરના વતની રહેવા ગીરજાશંકર ઉપાધ્યાય રોજીરોટીની તલાશમાં 40 વર્ષ પહેલાં સુરતમાં આવીને વસ્યા હતા અને વાયરમેનનું કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. ગીરજાશંકર વાયરીંગનું કામ કરવા જતા ત્યાં કામ કરતા મજૂરોના બાળકોને રખડતા જોઈ તેમને મનમાં થયું હતું કે, અજ્ઞાનતા જ મોટું દુષણ છે તે દૂર કરવા માટે અને આવા ગરીબના બાળકોને શિક્ષણ આપવા માટેની પહેલ સાથે 21 વર્ષ પહેલા પોતાના મકાનમાં નાની સ્કૂલ શરૂ કરી હતી. તેઓ બાળકો પાસેથી એક પણ રૂપિયો લેતા નહીં. આ કામમાં લોકો તેમની મદદ કરવાને બદલે ધૂતકારતા હતા. જોકે, તેમણે હિંમત ન હારી અને બાળકોને જ્ઞાન આપવાનું ચાલુ રાખ્યું હતું.
બાળકોને ચોકલેટ અને નાસ્તાની લાલચ આપીને પોતાની શાળાએ બોલાવી અભ્યાસ આપતા હતા અને ત્યારબાદ તેમના પરિવારને બોલાવી સમજાવતા હતા કે, ‘‘તમે તો અજ્ઞાન છો પણ બાળકને જ્ઞાન આપી તેનું ભવિષ્ય બનાવો’’ અને બાળકના એડમિશન માટે તેમને મદદ કરતા હતા. જોતાં જોતાં આજે 21 વર્ષ પૂરા કરી 5000 જેટલા શ્રમિકોના બાળકોને જ્ઞાન આપી તેમને જિંદગીમાં આગળ વધવા માટે પ્રેરણાદાયક બન્યા છે.
શરૂઆતમાં તો પરિવાર પણ તેમની મદદ નહોતું કરતું પણ ધીરે ધીરે પત્ની, પુત્ર અને પુત્રવધૂ મદદમાં આવ્યા. હવે વેસુ સાથે સુરતના પાંડેસરા વિસ્તારમાં બીજી બ્રાંચ કરી બાળકોને જ્ઞાન અને સંસ્કાર આપવાનું કામ કરે છે.