ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાની માફક ધોરણ 9 અને 11ની પરીક્ષાના માળખામાં પણ મોટો ફેરફાર જાહેર કર્યો છે. નવી બદલાયેલી પદ્ધતિ મુજબ હવેથી ધોરણ 9 અને 11ની પરીક્ષામાં જનરલ વિકલ્પ આપવામાં આવશે તેમજ હેતુલક્ષી પ્રશ્નો 30 ટકા પુછાશે. જ્યારે વર્ણનાત્મક પ્રકારના પ્રશ્નો 70 ટકા પૂછવામાં આવશે. અત્યાર સુધીના નિયમ મુજબ 20 ટકા હેતુલક્ષી અને 80 ટકા વર્ણનાત્મક પ્રકારના પ્રશ્નો પુછાતા હતા. આ નિર્ણયથી થોડા માર્કસ માટે નાપાસ થતાં વિદ્યાર્થીઓને પરીક્ષા પાસ કરવામાં મદદરૂપ થશે. બોર્ડના આ નિર્ણયથી ધોરણ 9ના અંદાજે 9 લાખ જેટલા અને ધોરણ 11ના 6 લાખથી વધુ મળી અંદાજે કુલ 15 લાખથી વધુ વિદ્યાર્થીઓની પરીક્ષામાં ફેરફાર થશે.