શહેરમાં ભારે વરસાદ બાદ વિવિધ આશ્રયસ્થાનો પર લોકોને આશરો આપવામાં આવ્યો છે. આશ્રયસ્થાનો પર રહેલા વ્યક્તિઓ માટે વિવિધ સેવાકીય સંસ્થાઓ ભોજન પણ પૂરું પાડી રહી છે. તેવામાં રાજકોટ શહેરમાં કાર્યરત રામકૃષ્ણ આશ્રમ દ્વારા પણ લોકો માટે ભોજન આપવામાં આવી રહ્યું છે. લગભગ 6 હજારથી વધુ લોકોને ભોજન આપી ચૂક્યા છે.
રામકૃષ્ણ આશ્રમ-રાજકોટના અધ્યક્ષ સ્વામી નિખિલેશ્વરાનંદએ જણાવ્યું હતું કે, રાજકોટમાં ભારે વરસાદ શરૂ થયો ત્યારે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવા લાગ્યા હતા, અને તંત્ર દ્વારા બચાવ કાર્યો પણ શરૂ કરી દેવામાં આવ્યા હતા. આ સમયે રામકૃષ્ણ આશ્રમ-રાજકોટના સંત દર્પહાનંદ તથા સ્વયંસેવકોની ટીમ તાત્કાલિક અસરગ્રસ્ત વિસ્તારમાં પહોંચી ગઈ હતી અને સર્વે કરીને સ્થળાંતરિત લોકોને ગરમ ખીચડીનું ભોજન આપવાનું શરૂ કરી દેવામાં આવ્યું હતું.
આશ્રમ દ્વારા વરસાદ વચ્ચે 2500 લોકોને ખીચડી ઉપરાંત 2000 કોરા નાસ્તાના પેકેટ વિતરણ કરવામાં આવ્યા હતા. એ પછી પણ ભોજનની સેવા સતત ચાલુ છે. અસરગ્રસ્તોને અત્યાર સુધીમાં 8000 થેપલા ઉપરાંત 450 કિલો ગાંઠિયા તેમજ ચવાણું, મસાલા ભાત વગેરે ખાદ્ય સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું. આગામી દિવસોમાં સ્થળાંતરિત લોકોને તાલપત્રી તેમજ રાશન કીટ વિતરણ કરવાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. તેમણે વધુમાં કહ્યું કે, ફૂડ પેકેટસ તેમજ ભોજન સામગ્રી માટે સંસ્થાના સ્વયંસેવકો, ભક્તો તરફથી વિશેષ સહયોગ મળી રહ્યો છે. રામકૃષ્ણ આશ્રમના 20 સંતો તેમજ 25થી 30 સ્વયંસેવકો ખડે પગે કામ કરી રહ્યા છે. જ્યારે સંસ્થા સાથે જોડાયેલી 50થી 60 જેટલી બહેનો થેપલાની સેવા આપી રહી છે.