બ્રિટનમાં હવે કિંગ ચાર્લ્સના રાજ્યાભિષેક સમારોહની તૈયારીઓ શરુ થઈ ગઈ છે.
બ્રિટનના રાજવી પરિવાર પર દુનિયાની હંમેશા નજર રહેતી હોય છે ત્યારે 6 મેના રોજ યોજનારા આ સમારોહ માટે દુનિયાભરના દેશોના નેતાઓ તથા વિવિધ સેલિબ્ર્ટી સહિત 2000 લોકોને આમંત્રણ અપાયુ છે. બ્રિટનમાં મોંઘવારીથી લોકો ભારે પરેશાન છે અને વિના મુલ્યે ભોજન વિતરણ કરતા કેન્દ્રો પર નિર્ભર રહેનારાની સંખ્યા વધી રહી છે ત્યારે આ રાજયાભિષેક સમારોહ પાછળ 100 મિલિયન પાઉન્ડ એટલે કે 1000 કરોડ રુપિયા જેટલો ખર્ચ થશે તેવો અંદાજ મુકાઈ રહ્યો છે અને આ આંકડો જાણીને બ્રિટનમાં પણ ઘણા લોકો નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. કારણકે તેમને લાગી રહ્યુ છે કે, આ ખર્ચ છેવટે તો કરદાતાઓએ જ ભોગવવો પડશે.
આ પહેલા 1953મા ક્વીન એલિઝાબેથ બીજાની તાજપોશી થઈ ત્યારે દોઢ મિલિયન પાઉન્ડ ખર્ચાયા હતા. જે આજના હિસાબે 50 મિલિયન પાઉન્ડ બરાબર છે.
પ્રિન્સ ચાર્લ્સના રાજ્યાભિષેકના આયોજનની જવાબદારી સંભાળી રહેલી કમિટિને જોકે આમ આદમીની પરેશાનીની જાણકારી છે અને તેમનુ કહેવુ છે કે, સમારોહને શક્ય હોય તેટલો નાનો રાખવામાં આવશે પણ સિક્યુરિટી પરનો ખર્ચ અનિવાર્ય છે.સમારોહમાં 2000 લોકો સામેલ થવાના છે.જેમની સુરક્ષા એક મોટો મુદ્દો છે.
એક તર્ક એવો પણ થઈ રહ્યો છે કે, સમારોહનુ જિવંત પ્રસારણ થવાનુ છે અને તેના રાઈટસ બ્રિટિશ સરકાર પાસે હોવાથી તેમાંથી પણ આવક થશે.બ્રિટનમાં ટુરિઝમ વધશે .કારણકે બીજા દેશોના ઘણા લોકો ઉત્સુકતાવશ સમારોહ જોવા માટે આવી શકે છે.આમંત્રિતો અને ટુરિસ્ટોના કારણે હોટલો બૂક થશે.આમ રાજ્યાભિષેકના કારણે થનારી આવક ખર્ચ કરતા વધારે હશે.
બ્રિટનના રાજવીની તાજપોશીને દુનિયાના સૌથી અનોખા અને ભવ્ય સમારોહ તરીકે ગણવામાં આવે છે. જેમાં હજારો વર્ષથી ચાલી આવતી પરંપરાઓમાં કોઈ બદલાવ થયો નથી. જે રીતી રિવાજો છે તે પ્રમાણે કિંગ ચાર્લ્સ અને ક્વીન કેમિલા ઘોડાથી ખેંચવામાં આવતા રથમાં 40 મિનિટની મુસાફરી કરશે. રાજમહેલ પહોંચ્યા બાદ કિંગ ચાર્લ્સને 700 વર્ષ જૂની ખુરશી પર બેસાડાશે. તેમના પર પવિત્ર જળનો અભિષેક કર્યા બાદ મુગટ પહેરાવવામાં આવશે.
આ તાજ પણ 17મી સદીમાં નક્કર સોનાથી બનાવાયો હતો. જેનુ વજન અઢી કિલો જેટલુ છે. જે માત્ર રાજ્યાભિષેક વખતે પહેરવામાં આવે છે. તેને સેન્ટ એડવર્ડ ક્રાઉન તરીકે ઓળખવામાં આવે છે. સમારોહના અંતમાં કિંગ ચાર્લ્સ બીજો એક ઈમ્પિરિયલ સ્ટેટ ક્રાઉન તરીકે ઓળખાતો મુગટ પહેરેશે. આ મુગટ નિયમિત રીતે પહેરવામાં આવે છે. બકિંગહેમ પેલેસની બાલ્કનીમાં તેઓ જ્યારે આવશે ત્યારે તેમના માથા પર આ જ તાજ હશે. આ તાજ પણ સોનાથી બનેલો છે. જેમાં અઢી હજારથી વધારે હીરા, 300 મોતી, ચાર રુબી ટાંકવામાં આવ્યા છે.
ક્વીને કેમિલાને પણ ક્વીન મેરીનો મુગટ પહેરાવાસે.સામાન્ય રીતે આ તાજ ટાવર ઓફ લંડનમાં પ્રદર્શન માટે મુકાતો હોય છે.જેને સ્પર્શવાનો અધિકાર માત્ર ચાર લોકોને છે.જેમાં વર્તમાન રાજા તથા રાણી, આર્કબિશપ ઓફ કેન્ટરબરી અને રોયલ ક્રાઉન જ્વેલર્સનો સમાવેશ થાય છે.
રાજવી પરિવારના જ્વેલર્સ પણ નક્કી હોય છે.જેમના વંશશો જ પેઢી દર પેઢી રાજવી પરિવારની જ્વેલરીની ડીલ કરતા હોય છે.