12 જ્યોતિર્લિંગોમાં સામેલ કેદારનાથ ધામના કપાટ મંગળવારે સવારે 6:20 વાગ્યે ખોલી દેવાયા હતા. આ અવસરે શ્રદ્ધાળુઓએ જોરદાર ઢોલ વગાડી અને બમ બમ ભોલેના નાદ સાથે ઉજવણી કરી હતી. શ્રી બદરીનાથ-કેદરનાથ મંદિર સમિતિએ તેની તૈયારીઓ પૂરી કરી લીધી છે. મંદિરને 35 ક્વિન્ટલ ફૂલો વડે ભવ્ય રીતે શણગાર કરાયો છે. કપાટ ખોલતી વખતે 7000થી વધુ શ્રદ્ધાળુઓ હાજર રહ્યા હતા.
સરકારે હેલિકોપ્ટર વડે પુષ્પવર્ષા કરાવી ડોલીનું સ્વાગત કર્યું
સોમવારે, બાબા કેદારની પંચમૂલી ચલ વિગ્રહ ઉત્સવ ડોલી યાત્રા ગૌરકુંડથી કેદારનાથ ધામ ખાતે આવી હતી, જેમાં સેનાની 6-ગ્રેનેડિયર રેજિમેન્ટના બેન્ડની ધૂન હતી. સરકારે હેલિકોપ્ટરમાંથી ફૂલોની વર્ષા કરીને ડોલીનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું.
બદરીનાથ ધામના કપાટ 27 એપ્રિલ સવારે 6:10 વાગ્યે ખોલાશે
બીજી બાજુ બદરીનાથ ધામના કપાટ 27 એપ્રિલ સવારે 6:10 વાગ્યે ખોલાશે. જિલ્લાધિકારી મયૂર દિક્ષીત અને પોલીસ સુપ્રીન્ટેન્ડન્ટ ડૉ. વિશાખા અશોક ભદાણે ધામમાં કેમ્પ કરી રહ્યા છે. હવામાનના મિજાજને લીધે કેદારનાથ યાત્રા સામે પડકારો વધારે છે. અહીં અવાર-નવાર હવામાનમાં પલટો જોવા મળી રહ્યો છે. ગત બે અઠવાડિયાથી સતત હિમવર્ષાને કારણે ધામમાં બેથી અઢી ફૂટ બરફ જામી ગયો છે. સોમવારે પણ અહીં હિમવર્ષા થઈ હતી.